નિર્ણય:યુજીસીની ગાઇડલાઇન પ્રમાણે જ રાજ્યની કોલેજોમાં પરીક્ષા યોજાશે, માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે

ગાંધીનગર4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • ટાસ્કફોર્સ કમિટીની ભલામણ મુજબ સરકાર આયોજન કરશે
  • શિક્ષણમંત્રીએ તમામ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે VC દ્વારા ચર્ચા કરી

રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં હાલ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યની તમામ કોલેજોમાં યુજીસીની ગાઇડલાઇન મુજબ પરીક્ષાઓ યોજવામાં આવશષે તેમ હોવાનું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં યુનિવર્સિટીઓની કામગીરીની સમીક્ષા માટે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી, જેમાં ચુડાસમાએ કહ્યું હતું કે આગામી દિવસોમાં યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજોમાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવશે જ. યુજીસી દ્વારા પરીક્ષાઓ અને અન્ય બાબતો અંગે નિર્ણય લેવા માટે નિષ્ણાત સભ્યોની સમિતિની સૂચનો અને ભલામણો અનુસાર પરીક્ષાઓ અંગેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. અને તે મુજબ પરીક્ષાઓ લેવામાં આવશે. પરીક્ષાઓના સંચાલન અંગે પણ કુલપતિઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા.

અભ્યાસક્રમમાં જરૂરી ફેરફાર કરવાનું સૂચન
ચુડાસમાએ કહ્યું હતું કે. રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે સર્જાયેલી પરિસ્થિતિ એ પડકારરૂપ સમય છે. ભવિષ્યમાં કોઇપણ આફતને પહોંચી વળવા માટે જનજાગૃતિ, તાલીમ, શિક્ષણ અને માર્ગદર્શન આપે તેવો યુનિવર્સિટી અભ્યાસક્રમ તૈયાર કરવા કુલપતિઓ રસ દાખવે. આ પ્રકારની પરિસ્થિતિને કારણે હવે આપણે જીવન પદ્ધતિ અને જીવન શૈલી પણ બદલવી પડશે.

યુજીસીએ ટાસ્કફોર્સની રચના કરી
શિક્ષણમંત્રીએ કુલપતિઓને પરીક્ષા અંગે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયે યુનિવર્સિટીઓની પરીક્ષા યોજવા બાબતે માર્ગદર્શિકા નક્કી કરવા ટાસ્કફોર્સની રચના કરી છે. તેના માર્ગદર્શન પ્રમાણે પરીક્ષા સંદર્ભે આગળ વધવાનું રહેશે. કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા કઈ રીતે લેવી તેના સૂચનો સત્વરે મોકલી આપવા અપીલ કરી હતી. સ્ટાર્ટઅપના માધ્યમથી ઘર, ઓફિસ અને વાહનોમાં સેનિટાઈઝેશનની વ્યવસ્થા આપોઆપ થઈ જાય તેવા સંશોધનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કોરોનાનો પડકાર
ચુડાસમાએ કોરોનાના કારણે ઊભી થયેલી સ્થિતિનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ એક પડકારરૂપ સમય છે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે જનજાગૃતિ, તાલીમ, શિક્ષણ અને માર્ગદર્શન આપે તેવો યુનિવર્સિટી અભ્યાસક્રમ કરવા કુલપતિઓને આહવાન કર્યુ હતું. કોરોનાએ દુનિયામાં વહેવાર અને વહીવટની પધ્ધતિ બદલી નાંખી છે. હવે જીવન પધ્ધતિ અને જીવનશૈલી પણ બદલી પડશે. અગાઉની આફતો દ્રશ્ય આફતો હતી, આ આફત અદ્રશ્ય હોવાછતાં પણ સમગ્ર દેશ અને આપણા રાજ્યની જનતા અને વહીવટીતંત્ર હિંમતભેર સામનો કરી રહી છે.
આપત્તિ અવસરમાં બદલો
શિક્ષણરાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું કે, આપણા માટે આ આપત્તિને અવસરમાં બદલવાનો સમય છે. આ સમયમાં આપ સૌ સહિત રાજ્યના શિક્ષણ વિભાગે ટેક્નોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી કામ કર્યું છે. તેનું પરિણામ આગામી દિવસોમાં આવશે.