ટેક્નોલોજી:લોકડાઉનમાં વિધાર્થીઓ ઘેરબેઠાં અભ્યાસ કરી શકે તે માટે સ્વસ્તિક સ્કૂલે ઓનલાઇન સોફ્ટવેર તૈયાર કર્યું

પાલનપુર4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
તૈયાર કરવામાં આવેલા ઓનલાઇન સોફ્ટવેરની ઝલક - Divya Bhaskar
તૈયાર કરવામાં આવેલા ઓનલાઇન સોફ્ટવેરની ઝલક
  • જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ આ સોફ્ટવેરનું લોન્ચિંગ કર્યું હતું

અત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે તેવા સમયમાં ઘણા સમયથી શાળાના બાળકો ઘરે જ છે. તેમજ ઘરે રહીને સોશિયલ ડિસ્ટન્સથી પોતાનો સમય વ્યતીત કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બાળકો શૈક્ષણિક સંસ્થાઓમાં ગયા નથી. તેવા સમયે બાળકો અભ્યાસ જોડે જોડાયેલા રહે તેમજ તેઓના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી શ્રી સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર દ્વારા સમગ્ર બનાસકાંઠાની કોઈપણ શાળામાં અભ્યાસ કરતો બાળક ઓનલાઇન પરીક્ષા આપીને સ્વમૂલ્યાંકન કરી શકે તેમજ શિક્ષણ સાથે જોડાયેલું રહી શકે તે માટે ડેલ્ટા ઇન્ફોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદની મદદથી એક ઓનલાઇન એકઝામ એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલ છે. જેનું બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્યું કે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા બાળકોને ભણતરમાં મદદરૂપ થવા માટે ઓનલાનઇ એક્ઝામનું સોફ્ટવેર તૈયાર કર્યુ છે તે લોકડાઉનનના સમયમાં બાળકોને બહુ ઉપયોગી નિવડશે. આ એપની  મદદથી જિલ્લાના તમામ બાળકો પોતાના ઘરે રહીને મોબાઈલ દ્વારા પરીક્ષા આપી શકશે અને તેનું પરિણામ પણ મેળવી શકશે.

બાળકોને પરીક્ષાનું સર્ટિફિકેટ પણ ઓનલાઇન આપવામાં આવશે
ઓનલાઇન પરીક્ષા આપવા માટે દરેક બાળકને પ્રથમ તા.૨૩-૪-૨૦૨૦ થી તા.૨૮-૪-૨૦૨૦ સુધી આ લિંક http://swastik.schoolierp.com પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષાના સમયપત્રક મુજબ પરીક્ષા આપી શકાશે. તેમજ આ પરીક્ષા ઓનલાઈન આપનાર બાળકને ઓનલાઇન પીડીએફ ફાઈલ દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ પરીક્ષા ધોરણ ૧થી ૮ તેમજ ધોરણ ૯અને ૧૧ ના બાળકો આપી શકશે. આ ઓનલાઇન એકઝામ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુરના તમામ બાળકો તેમજ બીજી શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને પરીક્ષા આપી શકશે. પરીક્ષા આપ્યા બાદ પરીક્ષા આપનાર તમામ બાળકને ઓનલાઇન સર્ટિફિકેટ પણ મળી રહેશે. 

આ પ્રસંગે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા
આ પ્રસંગે સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ, જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી જે.પી.પ્રજાપતિ, ના. જિ. પ્રા. શિક્ષણાધિકારીશ્રી મુકેશભાઇ ચાવડા, કે. કે. ગોઠી હાઈસ્કૂલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા પાલનપુરના આચાર્ય મણીભાઈ સુથાર, એસ. સી. સાળવી અને શ્રીમતી એમ.એસ સાળવી પ્રાથમિક શાળાના આચાર્ય ચંદ્રકાંત પટેલ અને આચાર્ય મગનભાઈ પ્રજાપતિ, એપ તૈયાર કરનાર સંદીપ મેવાડા, નયન ચત્રારીયા સહિત સ્વસ્તિક શૈક્ષણિક સકુંલના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.