આત્મનિર્ભર ગુજરાત યોજના:નાના વેપારીઓ, ફેરિયાઓ, રિક્ષાચાલકો સહિતનાને 1 લાખ સુધીની લોન માત્ર 2%ના વાર્ષિક દરે મળશે

ગાંધીનગર4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષની અવધિમાં પરત ચૂકવણી કરવાની રહેશે: કોઈ જ પ્રકારની સિક્યુરિટીની જરૂર નહીં રહે
  • નજીકની સહકારી બેંકમાંથી લોન મળશે: 6 મહિના સુધી EMI નહીં

ગુજરાતમાં ઉદ્યોગધંધા અને અર્થતંત્ર ધમધમતું કરવા માટે રાજ્ય સરકાર 3 ટકાના દરે લોન આપવાની જાહેરાત કરી છે. આત્મનિર્ભર ગુજરાત યોજના થકી નાના વેપારીઓ, વ્યવસાયીઓ, ફેરિયાઓ, રીક્ષાચાલકો વગેરે જેવા નાનાનાના કામકાજ કરીને ઘર ચલાવનારને લાભ મળશે. આ માટે માત્ર અરજી જ કરવાની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રીય નાણમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે.
લોન લેનારે 2 ટકા અને રાજ્યસરકાર 6 ટકા વ્યાજ ચૂકવશે
આત્મનિર્ભર ગુજરાત યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેંકો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેંકો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે. વિગતવાર ગાઈડલાઈન હવે બહાર પાડવામાં આવશે.